Saturday 1 June 2013

માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે

એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી.

તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું !

બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધાના બટેટા બેગમાં સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું.

વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે.

નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે.

ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે.

માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે…

No comments:

Post a Comment