Monday 22 July 2013

આ ગુરુપૂર્ણિમા આવી અને ગઇ.

ગુરુ વિષયક ઢગલો એક સાહિત્ય વાંચવા સાંભળવા મળ્યું. સારૂં છે. મેં પણ ઘણું વાંચ્યું,
એક બાજુનો પવન જ વાતો રહે !! ગુરુના ચાહકો ગુરુના વખાણના ઢગલે ઢગલા કરશે અને વિરોધીઓ વિરોધના બ્યુગલો ફૂંકશે ! જો કે આપણને એમાં પણ કશો છોછ ન હોવો જોઇએ, સૌ પોતાની માન્યતા પ્રમાણે વર્તવા માટે છૂટમાં હોય છે. આજે મારે વાત કરવી છે

“ગુરુના વિષે મારા વિચારોને ઊંડાણથી ન સમજવાને કારણે કેટલાક લોકો કહી દે છે કે હું ગુરુની નિંદા યા ખંડન કરું છું. એ બિલકુલ ખોટી વાત છે. હું ગુરુની નિંદા નથી કરતો, બલકે પાખંડની નિંદા કરું છું……..ગુરુજનો પ્રત્યે મારા મનમાં ઘણો આદરભાવ છે…પરંતુ જે લોકો ગુરુ બનીને લોકોને ઠગે છે, તેમની પ્રશંસા કેવી રીતે થશે? તેમની તો નિંદા જ થશે.

હાલના સમયમાં સાચા ગુરુ મળવા ઘણું દુર્લભ બની રહ્યું છે. દંભ-પાખંડ દિવસે દિવસે વધતા જ રહ્યા છે. એટલા માટે શાસ્ત્રોએ અગાઉથી જ કળિયુગમાં દંભી-પાખંડી ગુરુઓના અસ્તિત્વની વાત કહી દીધી છે જેથી લોકો ચેતી જાય.

“શાસ્ત્રોમાં ગુરુનો ઘણો મહિમા ગવાયો છે. પરંતુ તે મહિમા સચ્ચાઈનો છે, દંભ-પાખંડનો નથી. આજકાલ દંભ-પાખંડ ખુબ થઈ ગયો છે અને વધતો જઈ રહ્યો છે. કોણ સારો છે અને કોણ ખરાબ__એની જલદી ખબર પડતી નથી. જે બૂરાઈના રૂપમાં આવે છે, તેને દૂર કરવી સહેલી છે. પરંતુ બૂરાઈ ભલાઈના રૂપમાં આવે છે. તેને દૂર કરવી ઘણું કઠણ છે. સીતાજીની સામે રાવણ, રાજા પ્રતાપભાનુની સામે કપટમુનિ અને હનુમાનજીની સામે કાલનેમિ આવ્યો, તો તેઓ તેમને ઓળખી શક્યા નહીં. તેમના ચક્કરમાં આવી ગયા; કેમ કે તેમનો વેશ સાધુઓનો હતો.

શાસ્ત્રોમાં આવેલો ગુરુ-મહિમા યોગ્ય હોવા છતાં પણ હાલમાં પ્રચારને યોગ્ય નથી. કારણ કે આજકાલ દંભી-પાખંડી લોકો ગુરુ-મહિમાના સહારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. ….કોઈ ગુરુ જાતે જ ગુરુ-મહિમાની વાતો કહે છે, ગુરુ-મહિમાનાં પુસ્તકોનો પ્રચાર કરે છે, તો એનાથી સિદ્ધ થાય છે કે તેના મનમાં ગુરુ બનવાની ઇચ્છા છે. જેની અંદર ગુરુ બનવાની ઇચ્છા હોય છે, તેનાથી બીજાઓનું ભલું નથી થઈ શકતું. એટલા માટે હું ગુરુનો નિષેધ નથી કરતો, પરંતુ પાખંડનો વિરોધ કરું છું.”

“ગુરુ બનાવવાથી કલ્યાણ નથી થતું, પરંતુ ગુરુની વાત માનવાથી કલ્યાણ થાય છે; કેમ કે ગુરુ શબ્દ હોય છે, શરીર નહીં__
’જો તૂ ચેલા દેહ કો, દેહ ખેહ કી ખાન |
જો તૂ ચેલા સબદ કો, સબદ બ્રહ્મ કર માન ||’
ગુરુ શરીર નથી હોતા અને શરીર ગુરુ નથી હોતું__’ન મર્ત્યબુદ્ધયાસૂયેત’ (શ્રીમદ ભા. ૧૧/૧૭/૨૭). વ્યક્તિમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાને બદલે ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાથી વધારે લાભ થશે. ….એટલા માટે જે ગુરુ પોતાનામાં વિશ્વાસ કરાવે છે, પોતાની સેવા કરાવે છે, પોતાના નામનો જપ કરાવડાવે છે, પોતાના રૂપનું (ફોટા વગેરે) ધ્યાન કરાવે છે, પોતાની પૂજા કરાવે છે, પોતાનું એંઠું આપે છે, પોતાના ચરણ ધોવડાવે છે, તે પતનની તરફ લઈ જવાવાળું છે. તેનાથી સાવધાન રહેવું જોઈએ.”

“તમે વિચારો, જે લોકોએ ગુરુ બનાવ્યા છે, શું તેમનું બધાનું કલ્યાણ થઈ ગયું ? તેમને તત્વજ્ઞાન થઈ ગયું ? ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ ? જીવન્મુક્તિ થઈ ગઈ ? કોઇને થઈ હોય તો ઘણા આનંદની વાત છે, પણ અમને વિશ્વાસ નથી થતો. ….વિચારો કે ગુરુ બનાવવા માત્રથી વધારે લાભ થાય છે કે સત્સંગ કરવાથી ? ગુરુજી આપણું કલ્યાણ કરી દેશે__એવો ભાવ હોવાથી પોતાના સાધનમાં ઢીલાશ આવી જાય છે. (તાત્પર્ય, કર્તવ્યવિમૂખ થઈ અને ગુરુના સહારે બેસી રહે છે, આ પેલું ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જશેની માન્યતાએ પાપ કરવાનું સાહસ વધી જાય તેના જેવું થયું ! વાં.). ….ગુરુ બનાવવાવાળાઓમાં કોઈ ખાસ પરિવર્તન નથી દેખાતું. માત્ર એક વહેમ થઈ જાય છે કે અમે ગુરુ બનાવી લીધા, એના સિવાય બીજું કાંઈ નથી થતું. એટલા માટે ગુરુ બનાવવાથી મુક્તિ થઈ જાય છે__એ નિયમ છે જ નહીં.”

“ગીતાએ પ્રાણીમાત્રના હિતમાં પ્રીતિની વાત કહી છે__’સર્વભૂતહિતે રતાઃ’ (ગીતા ૫/૨૫, ૧૨/૪). સાચા સંતોની દૃષ્ટિ પ્રાણીઓના હિતની તરફ રહે છે, તેમને પોતાના તરફ ખેંચવાની નહીં. તેઓ ન તો કોઈને પોતાનો ચેલો બનાવે છે, ન પોતાની ટોળી બનાવે છે અને ન કોઈ પાસેથી કંઈ લે છે. બલકે બીજાઓનું કલ્યાણ કેવી રીતે થાય__એ તરફ દૃષ્ટિ રાખે છે અને ફક્ત શિષ્યોને માટે જ નહીં, બલકે પ્રાણીમાત્રના કલ્યાણને માટે ભગવાનને પ્રાર્થના કરે છે__
’સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્વિદ્‌ દુઃખભાગ્ભવેત્‌ ||’….
સાધુ થવા માત્રથી કલ્યાણ નથી થતું. મેં ખુદ સાધુ થઈને જોયું છે. એટલા માટે પોતાનું કલ્યાણ ચાહવાવાળાઓએ કોઈ મનુષ્યના ચક્કરમાં નહીં આવવું જોઇએ, કોઈને ગુરુ નહિ બનાવવા જોઈએ.” (હાલના અર્થમાં. વાં.)

“વાસ્તવમાં કલ્યાણ, મુક્તિ, તત્વજ્ઞાન, પરમાત્મપ્રાપ્તિ ગુરુને આધીન નથી. જો ગુરુ બનાવ્યા વિના તત્વજ્ઞાન નથી થતું તો સૃષ્ટિમાં જે સૌથી પહેલો ગુરુ થયો હશે તેને તત્વજ્ઞાન કેવી રીતે થયું ? જો કોઈ મનુષ્યને ગુરુ બનાવ્યા વિના તેને તત્વજ્ઞાન થઈ ગયું તો એનાથી સિદ્ધ થયું કે કોઈ મનુષ્યને ગુરુ વિના પણ જગદ્‌ગુરુ ભગવાનની કૃપાથી તત્વજ્ઞાન થઈ શકે છે. પણ આજકાલ તો એવી પ્રથા ચાલી છે કે પહેલાં ચેલા બનો, ગુરુમંત્ર લો, પછી ઉપદેશ દઈશું. ….સૌથી શ્રેષ્ઠ સંત તેઓ હોય છે, જેમનામાં મતભેદ નથી હોતો એટલે કે દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે કોઇ એક મતનો આગ્રહ નથી હોતો. એટલા માટે સાધકને માટે સૌથી ઉત્તમ વાત એ જ છે કે તે સાચા દિલથી ભગવાનમાં લાગી જાય. કોઈ વ્યક્તિને ન પકડીને પરમાત્માને પકડો. વ્યક્તિમાં પૂર્ણતા નથી હોતી. પૂર્ણતા પરમાત્મામાં હોય છે.

’તેષાં સતતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્‌ |
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ||
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ |
નાશ્યામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ||’ (ગીતા ૧૦/૧૦,૧૧)”

No comments:

Post a Comment